ગુજરાતમાં 37 IPSની બદલી:અનેક PSI જેની રેડ બાદ સસ્પેન્ડ થયા એવા નિર્લિપ્ત રાયની SMCમાંથી વિદાય; શમશેર સિંઘને નિવૃત્તિના 25 દિવસ પહેલા પોસ્ટિંગ, 2 મહિના રાહ જોઈ હતી
ગુજરાત ગૃહ વિભાગ દ્વારા રાજ્યના પોલીસ તંત્રમાં મોટો વહીવટી ફેરફાર કરતા 37 IPS અધિકારીઓની સામુહિક બદલીના આદેશ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં અનેક મહત્વના હોદ્દાઓ અપગ્રેડ અને ડાઉનગ્રેડ કરવામાં આવ્યા છે. આ ફેરબદલમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ના વડા નિર્લિપ્ત રાયને રાજકોટ રેન્જ IG તરીકે નવી જવાબદારી સોંપાઈ છે, જ્યારે CBIનો બહોળો અનુભવ ધરાવતા રાઘવેન્દ્ર વત્સને અમદાવાદ રેન્જ IG અને ગગનદીપ ગંભીરને SMCનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.
આ સાથે જ લાંબા સમયથી વેઇટિંગમાં રહેલા સિનિયર IPS શમશેર સિંઘને સિવિલ ડિફેન્સ અને હોમગાર્ડના કમાન્ડન્ટ જનરલ તરીકે નિયુક્તિ આપી નિવૃત્તિ પૂર્વે મહત્વનું પોસ્ટિંગ અપાયું છે. અમદાવાદમાં પણ ઝોન-8ની નવી રચના સાથે ટ્રાફિક અને ક્રાઈમ વિભાગમાં મોટા ફેરફાર કરી રાજ્ય સરકારે સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કર્યો છે.


રાઘવેન્દ્ર વત્સની અમદાવાદ રેન્જ આઈજી તરીકે બદલી કેન્દ્રીય તપાસ એજન્સી CBIમાં લગભગ પાંચ વર્ષની લાંબી ડેપ્યુટેશન સેવા પૂર્ણ કરી ગુજરાત કેડરમાં પરત ફરેલા IPS અધિકારી રાઘવેન્દ્ર વત્સની અમદાવાદ રેન્જ આઈજી તરીકે બદલી કરવામાં આવી છે. રાઘવેન્દ્ર વત્સ હાલમાં સુરત ખાતે જોઈન્ટ પોલીસ કમિશનર (ક્રાઈમ) તરીકે ફરજ બજાવી રહ્યા હતા. સીબીઆઈના બહોળા અનુભવ બાદ તેમની સુરત ક્રાઈમમાં નિમણૂક કરવામાં આવી હતી, જોકે હવે રાજ્ય સરકાર દ્વારા તેમને અમદાવાદ રેન્જની મહત્ત્વની જવાબદારી સોંપવામાં આવી છે.
એ.જી. ચૌહાણ અમદાવાદ શહેર ટ્રાફિકના જોઈન્ટ પોલીસ કમિશનર અમદાવાદ શહેરમાં પણ મહત્ત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યા છે. એ.જી. ચૌહાણને અમદાવાદ શહેર ટ્રાફિકના જોઈન્ટ પોલીસ કમિશનર તરીકે અને એન.એન.ચૌધરીને ઇન્ટેલિજન્સ-2 ગાંધીનગરમાં IG તરીકે મુકવામાં આવ્યા છે. સુરત શહેરમાં પણ પોલીસ તંત્રમાં બદલાવ કરવામાં આવ્યા છે. મહેન્દ્ર બગડિયાને સુરત શહેર સેક્ટર-2ના એડિશનલ પોલીસ કમિશનર તરીકે અને કરનરાજ વાઘેલાને સુરત શહેરમાં એડિશનલ પોલીસ કમિશનર (ક્રાઇમ) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં ઝોન 8 બનશે, અત્યાર સુધી 7 ઝોન હતા, ત્યારે હવે ઝોન 8 બનશે જેમાં DCP તરીકે મયૂર પાટીલની નિમણૂક કરવામાં આવી છે.

શમશેરસિંઘને 2 મહિનાના વેઇટિંગ બાદ પોસ્ટિંગ મળ્યું 1991 બેચના સિનિયર આઈ.પી.એસ શમશેરસિંઘનું એસીબીમાંથી ડેપ્યુટેશન પર જવું અને ત્યાંથી પરત ગુજરાત આવવું એ ભારે ચર્ચાનો વિષય રહ્યો હતો. કારણ, શમશેરસિંઘ જ્યારે ડેપ્યુટેશન પર જવાના હતા ત્યારે તે વિકાસ સહાય બાદ રાજ્યના મોસ્ટ સિનિયર IPS હતા, તેમના જવાથી રાજ્યના નવા DGP કોણ બનશે તે ચર્ચાઓ રહી હતી. હવે જ્યારે શમશેરસિંઘ પરત આવ્યાં છે ત્યારે તેમને સત્તાવાર રીતે 7 જાન્યુઆરીથી વેઈટિંગ ફોર પોસ્ટિંગમાં મુકાયા હતા. આમ બે મહિના બાદ પોસ્ટિંગ મળ્યું છે.

કરણરાજ વાઘેલાને સુરતમાં જ મોટી બઢતી સાથે નવી નિમણૂક બીજી તરફ, સુરત શહેરના ઇકોનોમિક સેલમાં DCP તરીકે કાર્યરત કરણરાજ વાઘેલાને સુરતમાં જ મોટી બઢતી સાથે નવી નિમણૂક મળી છે. વલસાડથી સુરત ઇકોનોમિક સેલમાં બદલી પામેલા કરણરાજ વાઘેલાનું તાજેતરમાં પ્રમોશન આવ્યું હતું, જે બાદ હવે તેમની નિમણૂક સુરત શહેરના જોઈન્ટ પોલીસ કમિશનર (ક્રાઈમ) તરીકે કરવામાં આવી છે. સુરતની ભૌગોલિક સ્થિતિ અને ગુનાખોરીના પ્રકારથી વાકેફ હોવાને કારણે તેમની આ નિમણૂક શહેરની સુરક્ષા વ્યવસ્થા માટે મહત્ત્વની સાબિત થશે.

હિતેશ જોયસરનું ગાંધીનગર ઇન્ટેલિજન્સ વિભાગમાં DIG તરીકે પોસ્ટિંગ આ ઉપરાંત, લાંબા સમયથી પ્રમોશન બાદ પોસ્ટિંગની રાહ જોઈ રહેલા હિતેશ જોયસરને પણ નવી જવાબદારી સોંપવામાં આવી છે. પૂર્વ સુરત જિલ્લા ગ્રામ્ય SP તરીકે ફરજ બજાવી ચૂકેલા હિતેશ જોયસરને ઘણા મહિનાઓ પહેલા ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ તરીકેનું પ્રમોશન મળ્યું હતું, પરંતુ તેઓ પોસ્ટિંગની રાહમાં હતા. આખરે, રાજ્ય સરકાર દ્વારા તેમને ગાંધીનગર ખાતે ઇન્ટેલિજન્સ વિભાગમાં DIG તરીકે મહત્ત્વનું પોસ્ટિંગ આપવામાં આવ્યું છે.
બનાસકાંઠાની નવી રેન્જમાં IG તરીકે પરિક્ષિતા રાઠોડની નિમણૂક અમદાવાદ શહેર ટ્રાફિક JCP એન.એન ચૌધરીની ગાંધીનગર ઇન્ટેલિજન્સમાં IG તરીકે બદલી કરવામાં આવી છે.એન.એન ચૌધરી છેલ્લા ઘણા સમયથી અમદાવાદ ફરજ બજાવતા હતા.તેમનું DIGથી IG નું પ્રમોશન પણ અમદાવાદમાં નોકરી દરમિયાન આવ્યું હતું. એ.જી ચૌહાણ જેલ IGની અમદાવાદ શહેર ટ્રાફિક JCP તરીકે બદલી કરવામાં આવી છે. એ.જી ચૌહાણ અગાઉ પણ અમદાવાદ શહેરમાં ટ્રાફિક ડીસીપી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. તેમના અગાઉના અનુભવના આધારે તેમની અમદાવાદમાં ટ્રાફિક JCP તરીકે નિમણૂક કરવામાં આવી છે. જ્યારે બનાસકાંઠાની નવી રેન્જ ઊભી કરાઈ છે, જેમાં IG તરીકે પરિક્ષિતા રાઠોડની નિમણૂક કરવામાં આવી છે.

જૂનાગઢ રેન્જના IGP નિલેશ જાજડીયાની વડોદરાના જોઈન્ટ CP તરીકે નિમણૂક વડોદરા પોલીસ વિભાગમાં થયેલી મહત્વની બદલીઓમાં, એડિશનલ પોલીસ કમિશનર ડો. લીના પાટિલની નિમણૂક કરાઈ સ્થિત ગુજરાત પોલીસ એકેડેમીના પ્રિન્સિપાલ તરીકે કરવામાં આવી છે, જ્યારે જૂનાગઢ રેન્જના આઈજીપી નિલેશ જાજડીયાની બદલી વડોદરા શહેરના જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ (સેક્ટર-2, ક્રાઈમ અને કાયદો-વ્યવસ્થા)ના પદ પર કરવામાં આવી છે. આ સાથે જ, પોસ્ટિંગની રાહ જોઈ રહેલા સરોજ કુમારીને વડોદરાના ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ (જેલ) તરીકેની મહત્ત્વની જવાબદારી સોંપવામાં આવી છે.
અશોક કુમારની ગાંધીનગર ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ તરીકે બદલી ગુજરાત કેડરના 2003 બેચના IPS અધિકારી અશોક કુમારની તાજેતરમાં રાજકોટ રેન્જ આઈજી (IG) પદેથી CID (ઇન્ટેલિજન્સ), ગાંધીનગર ખાતે ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ તરીકે બદલી કરવામાં આવી છે. રાજકોટ રેન્જમાં તેમની કામગીરી દરમિયાન તેઓ કાયદો-વ્યવસ્થા જાળવવામાં અત્યંત સક્રિય રહ્યા હતા, ખાસ કરીને જામનગરમાં વડાપ્રધાનના કાર્યક્રમમાં સુરક્ષામાં ચૂક બદલ સુરતના DCP વિરુદ્ધ કડક કાર્યવાહીના આદેશને પગલે તેઓ ભારે ચર્ચામાં આવ્યા હતા. તેમની કાર્યક્ષમતાને ધ્યાને લેતા કેન્દ્ર સરકાર દ્વારા પણ તેમને આઈજી રેન્ક અથવા સમકક્ષ હોદ્દા માટે એમ્પેનલ કરવામાં આવ્યા હતા.

ગગનદીપ ગંભીર કડક શિસ્ત અને નિષ્ઠાવાન વહીવટ માટે જાણીતા 2004 બેચના ગુજરાત કેડરના અનુભવી IPS અધિકારી ગગનદીપ ગંભીર પોતાની કડક શિસ્ત અને નિષ્ઠાવાન વહીવટ માટે જાણીતા છે. તેમણે વડોદરામાં DCP તરીકે તથા આણંદ, વડોદરા રુરલ, અમદાવાદ રુરલ અને રાજકોટમાં SP તરીકે નોંધપાત્ર સેવાઓ આપી છે, જેમાં નશામાં ધૂત અધિકારી વિરુદ્ધ કડક કાર્યવાહી જેવા કિસ્સાઓ તેમની શિસ્તપ્રિયતા દર્શાવે છે. હાઈપ્રોફાઇલ કેસોની તપાસ માટે CBIમાં ડેપ્યુટેશન પર રહ્યા બાદ, 2024માં કેન્દ્રથી પરત ફરતા ગુજરાત સરકારે તેમની બહોળી અનુભવશક્તિને ધ્યાને લઈ ગાંધીનગર ખાતે IGP તરીકેની મહત્વની જવાબદારી સોંપી હતી.
આ ઉપરાંત અનેક અધિકારીઓને DIG, એડિશનલ કમિશનર અને અન્ય મહત્ત્વના હોદ્દાઓ પર બદલી સાથે નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે. રાજ્ય સરકારના આ નિર્ણયથી ગુજરાતના પોલીસ તંત્રમાં મોટાપાયે વહીવટી ફેરફાર જોવા મળશે.

