વાલીઓમાં ભારે રોષ:સુરેલી પ્રાથમિક શાળામાં ધો-5ની છાત્રાને રૂમમાં પૂરીને ઢોર માર માર્યોનો આક્ષેપ

ઉમરેઠ તાલુકાના સુરેલી ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં શિક્ષણ જગતને કલંકિત કરતી ઘટના સામે આવી છે. શાળાના આચાર્ય દ્વારા ધોરણ 5માં અભ્યાસ કરતી એક માસૂમ બાળકીને બંધ રૂમમાં પૂરીને અમાનુષી રીતે માર મારવામાં આવ્યો હોવાનો ગંભીર આક્ષેપ વાલીઓ દ્વારા કરવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે સુરેલી ગામના વાલીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, સુરેલી ગામની શાળામાં શનિવારે સવારના સત્ર દરમિયાન આ દુર્ઘટના ઘટી હતી. આચાર્યએ ધો-5ની વિદ્યાર્થિની મહેકબાનું મઝહર ખાન પઠાણને કોઈ કારણસર એક રૂમમાં પૂરી દીધી હતી અને ત્યારબાદ તેને બેરહેમ રીતે માર માર્યો હતો. ઘરે પહોંચ્યા બાદ બાળકીની હાલત ગંભીર જણાતી હતી. તેને શરીરે સોજા આવી ગયા હતા અને આઘાતને કારણે સતત ઉલટીઓ તેમજ તાવ ચઢી ગયો હોવાની ફરિયાદ વાલી દ્વારા કરવામાં આવી હતી.વાલીઓએ લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે,આ આચાર્ય દ્વારા શાળામાં શિક્ષણ આપવાને બદલે બાળકો સાથે અભદ્ર ભાષામાં અપશબ્દો બોલીને હેરાન કરે છે.
આચાર્યના ડરને કારણે બાળકી હવે શાળાએ જવા પણ તૈયાર નથી. વાલીઓએ સ્પષ્ટ માંગ કરી છે કે જો આવા હિંસક આચાર્યને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં નહીં આવે, તો તેઓ પોતાના બાળકોના એલ.સી. લઈ લેશે અને સુરેલીની આ શાળામાંથી નામ કમી કરાવી દેશે.તંત્ર પાસે કડક કાર્યવાહીની માંગ સુરેલી ગામના અનેક વાલીઓએ આ પત્રમાં સહી કરીને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે. શિક્ષણ વિભાગના કડક નિયમો હોવા છતાં, આચાર્ય દ્વારા આ પ્રકારે માસૂમ બાળકો પર થતો અત્યાચાર એ ગંભીર ગુનો છે. હવે જોવાનું એ રહેશે કે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી આ મામલે કેવા પગલાં ભરે છે.
ટીપીઓને તપાસ માટે સુરલી ગામે મોકલી આપ્યાં આણંદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અર્ચનાબેન પ્રજાપતિએ જણાવ્યું હતું કે, સુરેલી ઘટના અંગેની જાણ થતાં તાત્કાલિક ઉમરેઠ ટીપીઓને તપાસ માટે સુરેલી ગામે મોકલ્યા છે. તપાસ દરમિયાન જો વિદ્યાર્થીની સાથે મારમારી કરી હશે તો આચાર્ય સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.




