Uncategorized
Trending
બે મિત્રો વચ્ચે છોકરી બની વેરનું કારણ? ઉમંગનું તેના જ મિત્ર નાસીરે કેમ ઢીમ ઢાળી દીધું? રાજકોટના આ કિસ્સાથી હાહાકાર

રાજકોટમાં 23 વર્ષીય ઉમંગ જાખેલિયાની તેના જ મિત્ર નાસિર દ્વારા હત્યા. ચા પીવાના બહાને બોલાવી હુમલો કર્યો. નાઝિર અને આસિફ સામે ગુનો નોંધાયો, નાઝિર ફરાર. સમગ્ર મામલે મૃતક ઉમંગના પિતાના હચમચાવતા આરોપ.
રાજકોટ: શહેરમાં ગઈકાલે સોમવારે સાધુ વાસવાણી રોડ પર ખોખર પરિવારના સામૂહિત આપધાતની ઘટના સાથે સાથે શહેરના રૂખડિયાપરા વિસ્તારમાં પણ એક યુવકની તેના જ મિત્રો દ્વારા હત્યા કરાયા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ, મિત્રોએ ચા પીવાના બહાને ઘરે બોલાવી લઈ ગયા બાદ 23 વર્ષીય યુવક પર જીવલેણ હુમલો કર્યાનો હતો. જેમાં ગંભીર રીતે ઘાયલ હાલતમાં યુવકને તેના જ ઘર બહાર મૂકી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. બાદમાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવકનું મોત થતાં પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકની ઓળખ રૂખડિયા કોલોનીમાં રહેતા અને કલરકામ કરી જીવનનિર્વાહ કરતા ઉમંગ રણજીતભાઈ જાખેલિયા (ઉ.વ. 23) તરીકે થઈ છે. પ્રાથમિક માહિતી મુજબ બપોરે આશરે 2:30 વાગ્યે તેનો મિત્ર નાઝિર જુસબભાઈ નગામડા ઉમંગ જાખેવિયાને ચા પીવા માટે ઘર પરથી લઈ ગયો હતો. દરમિયાન બંને વચ્ચે કોઈ મુદ્દે બોલાચાલી થતાં નાઝિરે ઉમંગ પર હુમલો કરી ઢોરમાર માર્યો હતો.

પોલીસ તપાસ મુજબ ઉમંગ બેભાન જેવી સ્થિતિમાં પહોંચતા નાઝિરે પોતાના મિત્ર આસિફને સ્થળ પર બોલાવ્યો હતો. બાદમાં બંનેએ ઘાયલ ઉમંગને સ્કૂટર પર બેસાડી બપોરે આશરે 3:30 વાગ્યે તેના ઘર બહાર મૂકી ફરાર થઈ ગયા હતા. પરિવારજનોએ તરત જ તેને હોસ્પિટલમાં ખસેડ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.

આ મામલે મૃતક ઉમંગના પિતા રણજીત જાખેલિયાએ મીડિયા સમક્ષ નિવેદન આપતા જણાવ્યું કે, મારા દીકરા ઉમંગને તેનો નાસિર નામનો મિત્ર બપોરે 2.30-3 વાગ્યાના અરસામાં ઉંઘમાંથી ઉઠાડી ચા પીવાના બહાને લઈ ગયો હતો. જે બાદ નાસિર સાથે અન્ય એક શખ્સએ સાંથે 4 વાગ્યાની આસપાર મારા દીકરોને અધમૂવી હાલતમાં ઘર પાસે છોડી દીધો હતો. જેનું સારવાર દરમિયાન મોત થયું છે. દીકરો ઘરેથી નિકળ્યો ત્યારે તેના ખિસ્સામાં 50 હજાર રૂપિયા અને સોનાનો ચેન પણ હતો, જે પણ હાલ ગાયબ છે.

રણજીત જાખેલિયાએ વધુમાં કહ્યું કે, તેમના દીકરા ઉમંગની હત્યા પાછળ કૂલ 5 લોકો જવાબદાર છે, જેમાંનો એક નાસિર. નાસિર અને ઉમંગ વચ્ચે લગભગ 2થી 5 વર્ષની દોસ્તી હતી અને તેમની વચ્ચે કોઈ મનદુ:ખ પણ નહોતું, જેથી આ બનાવ શા માટે બન્યો તે અંગેનું મુળ કારણ તો તેમને પણ જાણ નથી, પરંતુ હાલ આ બનાવને લઈ તેઓએ પોલીસ તંત્ર પાસે ન્યાયની માંગ કરી છે.

નોંધનીય છે કે, સમગ્ર મામલે પોલીસને જાણ થતા પોલીસ દોડતી થઈ હતી અને મૃતક ઉમંગના ઘરે પહોંચી તપાસ હાથ ધરી હતી. ત્યારે ઘટનાને ગંભીર ક્રાઇમ બ્રાન્ચે આસિફને પૂછપરછ માટે કસ્ટડીમાં લીધો છે. પ્રાથમિક પૂછપરછમાં તેણે ઉમંગને ઘર સુધી પહોંચાડ્યાની કબૂલાત કરી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે. જ્યારે મુખ્ય આરોપી નાઝિર હજુ ફરાર હોવાથી તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

હાલ આ બનાવની પ્રાથમિક તપાસમાં મૃતક ઉમંગ બે ભાઈ અને એક બહેનમાં સૌથી નાનો હતો અને નાઝિરના મોટા ભાઈનો નજીકનો મિત્ર હોવાનું પણ સામે આવ્યું છે. ઉપરાંત આ હત્યા પાછળ પ્રેમપ્રકરણ કારણભૂત હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે પોલીસ તમામ સંભવિત પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ આગળ વધારી રહી છે. આમ હાલ મિત્રએ જ મિત્રનું ઢીમ ઢાળી દીધુ હોવાના આ ગંભીર કિસ્સામાં મૃતકના પરિવારજનોની ફરિયાદને આધારે તપાસ આગળ ધપાવી છે. જેથી આગામી સમયમાં આ મામલે વધુ ખુલાસા થઈ શકે છે, જેના પર સૌના નજર ટકેલી છે.

નોંધનીય છે કે, ગઈકાલે સોમવારે રાજકોટ શહેરના સાધુ વાસવાણી રોડ પર આવેલા યોગેશ્વર પાર્કમાં પણ એક જ પરિવારના ત્રણ સભ્યોએ ઝેરી દવા પી મોતને વહાલું કર્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. પ્રાથમિક તપાસમાં પરિવાર લાંબા સમયથી આર્થિક સંકડામણનો સામનો કરી રહ્યો હતો, તે કારણે આ પગલું ભરાયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જે મામલે યુનિવર્સિટી પોલીસ સ્ટેશને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, ત્યારે એક જ દિવસમાં બે બે કરૂણ ઘટનાથી રાજકોટ હાલ હચમચી ઉઠ્યું છે


