પત્રકાર છત્રપતિ હત્યા કેસમાં રામ રહીમ નિર્દોષ જાહેર, હાઈકોર્ટનો ચુકાદો:અન્ય 3 આરોપીની સજા યથાવત; સાધ્વીઓના યૌન શોષણ કેસમાં 10 વર્ષની સજા થઈ છે; હજુ જેલમાં જ રહેવું પડશે
ચંદીગઢ

પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે પત્રકાર રામચંદ્ર છત્રપતિ હત્યા કેસમાં ડેરા સચ્ચા સૌદાના રામ રહીમને નિર્દોષ જાહેર કર્યો છે. જોકે, કોર્ટે 3 આરોપીઓ કુલદીપ સિંહ, નિર્મલ સિંહ અને કૃષ્ણ લાલની સજાને યથાવત રાખી છે.
આ પહેલા 17 જાન્યુઆરી 2019ના રોજ પંચકુલાની સ્પેશિયલ CBI કોર્ટે રામ રહીમ સહિત બાકીના તમામ આરોપીઓને 7 વર્ષની કેદની સજા સંભળાવી હતી. જેની વિરુદ્ધ આરોપીઓએ હાઈકોર્ટમાં અરજી કરી હતી.
ચુકાદો સંભળાવતા હાઈકોર્ટે કહ્યું કે આ હત્યા કેસમાં રામ રહીમ ષડયંત્રકારી હોવાના પૂરતા પુરાવા નથી. જેના કારણે રામ રહીમને નિર્દોષ છોડી મૂકવામાં આવે છે.
રામ રહીમ આ પહેલા ડેરા મેનેજર રણજીત હત્યા કેસમાં પહેલા જ હાઈકોર્ટમાંથી નિર્દોષ છૂટી ચૂક્યો છે. જોકે, સુપ્રીમ કોર્ટમાં CBIએ આને પડકાર્યો છે.
જોકે, રામ રહીમને સાધ્વીઓના યૌન શોષણ કેસમાં 10 વર્ષની કેદની સજા થઈ છે. આ કારણે રામ રહીમને હજુ જેલમાં જ રહેવું પડશે.

2002માં હત્યા થઈ હતી
પત્રકાર રામચંદ્ર છત્રપતિએ પોતાના અખબારમાં ડેરા સાથે જોડાયેલા કેટલાક ગંભીર આરોપો પ્રકાશિત કર્યા હતા, ત્યારબાદ વર્ષ 2002માં તેમની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. આ મામલે ખૂબ હોબાળો થયો હતો. ત્યારબાદ મામલાની તપાસ CBIને સોંપવામાં આવી હતી. CBIની સ્પેશિયલ કોર્ટે લાંબી સુનાવણી બાદ મામલામાં ડેરા મુખી સહિત અન્ય આરોપીઓને દોષિત ઠેરવીને આજીવન કેદની સજા સંભળાવી હતી. આ નિર્ણય વિરુદ્ધ તમામ દોષિતોએ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં અપીલ કરી હતી.
હાઈકોર્ટે કહ્યું-પુરાવાનો અભાવ
હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન બચાવ પક્ષ અને CBI તરફથી દલીલો કરવામાં આવી હતી. પરંતુ, કોર્ટે પુરાવાઓને અપૂરતા ગણાવ્યા. જ્યારે, કુલદીપ, નિર્મલ અને કિશન લાલ વિરુદ્ધ કોર્ટે જાણ્યું કે તેમની વિરુદ્ધના પુરાવા અને સાક્ષીઓથી તેમનો પણ હાથ હોવાનું સ્પષ્ટપણે દેખાય છે. આ જ આધારે હાઈકોર્ટે તેમની આજીવન કેદની સજાને યથાવત રાખવાનો આદેશ આપ્યો છે.



