ઉમરપાડા સામુહિક દુષ્કર્મમાં સગીર સહિત 4 નરાધમો ઝડપાયા:લગ્ન પ્રસંગથી ઘરે જતી હતી ને વાસના ભૂખ્યા વરુંઓ સગીરાને પીંખી નાખી, ચારેય આરોપીની ધરપકડ
ઉમરપાડા

સુરત જિલ્લાના ઉમરપાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં માનવતાને શરમાવે તેવી અત્યંત ગંભીર ઘટના બની છે. લગ્ન પ્રસંગમાંથી પરત ફરી રહેલી સગીરાનો પીછો કરી 4 શખસોએ અવાવરું જગ્યાએ લઈ જઈ સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું.આ મામલે સુરત ગ્રામ્ય પોલીસે ત્વરિત કાર્યવાહી કરી ગણતરીના કલાકોમાં જ તમામ આરોપીઓની ધરપકડ કરી લીધી છે.
લગ્ન પ્રસંગથી પરત ફરતી વખતે પીછો કર્યો સુરત જિલ્લા SP રાજેશ ગઢિયાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, ઉમરપાડા વિસ્તારમાં યોજાયેલા એક લગ્ન પ્રસંગમાં સગીરા હાજર રહી હતી. પ્રસંગ પૂર્ણ થયા બાદ સગીરા ઘરે પરત ફરી રહી હતી, ત્યારે 4 શખ્સોએ તેનો પીછો કર્યો હતો. નરાધમોએ સગીરાને એકાંતવાળી જગ્યાએ આંતરી પકડી પાડી હતી અને ત્યારબાદ તેના પર સામૂહિક દુષ્કર્મ ગુજાર્યું હતું.

પરિવારની હિંમત અને પોલીસનું ક્વિક એક્શન ઘટના બાદ ભોગ બનનાર કિશોરીએ હિંમત દાખવી પરિવારને આપવીતી જણાવી હતી. પરિવારે તત્કાલ પોલીસનો સંપર્ક સાધતા તંત્ર હરકતમાં આવ્યું હતું. SP રાજેશ ગઢિયા પોતે ટીમ સાથે તાત્કાલિક ઉમરપાડા પહોંચ્યા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા તમામ 4 આરોપીઓની ઓળખ કરી ધરપકડ કરી છે.
ધરપકડ કરાયેલા આરોપીઓના નામ
- મિતેશ વસાવા
- આકાશ ચૌધરી
- રાહુલ વસાવા
- કાયદાના સંઘર્ષમાં આવેલો એક કિશોર (બાલ આરોપી)
પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓ પણ તે જ વિસ્તારના વતની છે અને લગ્ન પ્રસંગમાં હાજર હતા.

ફાંસી સુધીની સજા માટે મજબૂત પુરાવા એકત્ર કરાશે SPએ વધુમાં ઉમેર્યું હતું કે, આ કેસમાં BNS અને POCSO એક્ટની ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં આજીવન કેદથી લઈને મૃત્યુદંડ સુધીની સજાની જોગવાઈ છે. કેસમાં FSL અને મેડિકલ એક્સપર્ટ્સની મદદ લેવામાં આવી રહી છે, જેથી વૈજ્ઞાનિક પુરાવાઓના આધારે આરોપીઓને કડક સજા અપાવી શકાય.
આરોપીઓના રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ કરાશે હાલમાં ઉમરપાડા PI જે.જે. મોડ આ કેસની તપાસ કરી રહ્યા છે, જ્યારે ઇન્ચાર્જ SDPO બી.કે. વનાર સુપરવિઝન કરી રહ્યા છે. પોલીસ આરોપીઓના રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ હાથ ધરશે.
