Uncategorized
Trending
અમદાવાદની પતંગ હોટલના માલિક ઉમંગ ઠક્કરની કામરેજ પોલીસે કેમ ધરપકડ કરી? ‘નિર્વાણા’ પ્રોજેક્ટના નામે કરોડોનું કૌભાંડ શું છે?

સુરતમાં પ્લોટ કૌભાંડનો મોટો પર્દાફાશ! ‘નિર્વાણા’ પ્રોજેક્ટના નામે ₹1.56 કરોડની છેતરપિંડીના આરોપમાં અમદાવાદની પતંગ હોટેલના માલિક ઉમંગ ઠક્કરની ધરપકડ. સંપૂર્ણ સમાચાર વાંચો.
Surat Nirvana Project Fraud: સુરત જિલ્લાના કામરેજ વિસ્તારમાં પ્લોટના નામે કરોડો રૂપિયાની છેતરપિંડીના કેસમાં કામરેજ પોલીસે મોટી કાર્યવાહી કરતાં અમદાવાદની જાણીતી પતંગ હોટેલના માલિક અને બિલ્ડર ઉમંગ હરીભાઈ ઠક્કરની મંગળવારે (28 જુલાઈ) ધરપકડ કરી લીધી છે. કામરેજના ખોલવડ ગામમાં ટાઇટલ ક્લિયર ન હોવા છતાં અને વર્ષો પહેલાં અન્યને વેચી દીધી હતી એવી વિવાદિત જમીન ઉપર નવા આલીશાન પ્રોજેક્ટના સપના બતાવી છેતરપિંડી આચરનાર અમદાવાદની પતંગ હોટલના માલિક અને બિલ્ડર ઉમંગ ઠક્કર અને તેના બે પુત્રો સામે કામરેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. 1 કરોડ 56 લાખ રૂપિયા પડાવી લેવાના આ મામલે ત્રણ મહિના પૂર્વે નોંધાયેલા ગુનામાં ઉમંગ ઠક્કરને આખરે કામરેજ પોલીસે સુરત રેલવે સ્ટેશનેથી ઝડપી લીધો છે. કામરેજ પોલીસે ઉમંગ હરિ ઠક્કરના બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

પોલીસના જણાવ્યા અનુસાર વર્ષ 2026ના એપ્રિલ મહિનામાં કામરેજ પોલીસ સ્ટેશનમાં BNSની કલમ 316 અને 318 હેઠળ ગુનો નોંધાયો હતો. તપાસમાં સામે આવ્યું છે કે, જે જમીન પર ‘નિર્વાણા’ પ્રોજેક્ટ બતાવવામાં આવ્યો હતો તે જમીન વર્ષ 2018માં જ અન્ય વ્યક્તિને વેચાઈ ચૂકી હતી. તેમ છતાં આરોપીએ જમીનનું ટાઇટલ ક્લિયર ન હોવા છતાં ખુલ્લા પ્લોટનું બુકિંગ શરૂ કરી દીધું હતું.

આરોપીએ 15થી 16 જેટલા ફરિયાદીઓને પ્લોટ આપવાનું કહી વિશ્વાસમાં લીધા હતા અને તેમની પાસેથી કુલ ₹1.56 કરોડ વસૂલ્યા હતા. જોકે, ન તો પ્લોટનો કબજો આપવામાં આવ્યો અને ન તો ફરિયાદીઓના નાણાં પરત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ભોગ બનનાર મહિલા સહિત અન્ય લોકોએ કામરેજ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસના જણાવ્યા મુજબ, આરોપી લાંબા સમયથી પોલીસ પકડથી દૂર રહ્યો હતો. જોકે, અંતે કામરેજ પોલીસે તેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરીને જેલના હવાલે કર્યો છે. કામરેજ પોલીસ સ્ટેશનના પીઆઈ રામ ગોજિયાએ જણાવ્યું કે, અત્યાર સુધીની તપાસમાં ₹1.56 કરોડની છેતરપિંડી સામે આવી છે. જોકે, તપાસ આગળ વધતા વધુ ફરિયાદીઓ અથવા વધુ રકમ અંગે પણ ખુલાસા થવાની શક્યતા નકારી શકાય નહીં.

આ સાથે તેમણે જણાવ્યું છે કે, “વર્ષ 2026ના એપ્રિલ મહિનામાં કામરેજ પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ. કલમ 316 અને 318 મુજબ ગુનો દાખલ થયેલો છે. આ ગુનાના મુખ્ય આરોપી ઉમંગ હરીભાઈ ઠક્કર (રહે. અમદાવાદ સેટેલાઈટ) દ્વારા કામરેજના ખોલવડ ગામે ‘નિર્વાણા’ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવેલો હતો. જે જગ્યા 2018માં અન્યને વેચી નાખી હોવા છતાં ટાઇટલ ક્લિયર ન હોવા છતાં ખુલ્લા પ્લોટ વેચાણ અર્થે મૂકી 15થી 16 જેટલા ફરિયાદીઓ પાસેથી કુલ 1 કરોડ 56 લાખ રૂપિયા પડાવ્યા હતા. પ્લોટ કે પૈસા પરત ન આપતા ફરિયાદી સ્ત્રીએ ફરિયાદ કરતા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. હાલ તપાસમાં કુલ રકમ 1.56 કરોડ આવી છે, આ અંગે વધુ તપાસ થઈ રહી છે. ખુલાસો થશે.”



