Uncategorized
Trending
મદાવાદ PG દુષ્કર્મ કેસ: ‘ફોન-પૈસા જે જોઈએ તે લઈ લો પણ મને છોડી દો’, યુવતી સાથે ધાબે જે બન્યું તે સાંભળીને રુંવાડા ઊભા થઈ જશે!

અમદાવાદના આનંદનગર વિસ્તારમાં PGમાં રહેતી 23 વર્ષીય ઇન્ટિરિયર ડિઝાઈનર યુવતી સાથે ધાબા પર બનેલી ઘટનાથી ચકચાર મચી ગઈ છે. ત્યારે શનિવારે રાત્રે ફ્લેટના ધાબા પર સિક્યોરિટી ગાર્ડ કેમ ગયો હતો? શું તેણે પહેલેથી જ પ્લાન બનાવીને રાખ્યો હતો? આ અંગેની સમગ્ર વિગતો સામે આવી છે.
Ahmedabad Pg Rape Case: શહેરના પોશ ગણાતા આનંદનગર વિસ્તારમાં 9 ઓગસ્ટના રોજ PG તરીકે રહેતી 23 વર્ષીય ઇન્ટિરિયર ડિઝાઈનર યુવતી સાથે સિક્યોરિટી ગાર્ડે દુષ્કર્મ આચર્યાની ચોંકાવનારી ઘટના બની હતી. ધાબા પર વોકિંગ કરી રહેલી યુવતી સાથે દારૂના નશામાં સિક્યોરિટી ગાર્ડે અમાનુષી કૃત્ય આચર્યું હતું. તે સમયે યુવતી સાથે શું ઘટના બની છે તેની વિગતો સામે આવતા ચકચાર મચી ગઈ છે.

લિફ્ટમાં ધરમસિંહ ધાબા પર જતો નજરે પડ્યો હતો. જે બાદ ધરમસિંહ ધાબે ખૂણામાં બેસીને દેશી દારૂ પીતો હતો. જ્યારે યુવતી નીચે જતી હતી ત્યારે અચાનક નરાધમે યુવતી સાથે શરીર સુખની વાત કરી હતી. યુવતી દરવાજા તરફ જવા લાગતા ગળામાં વાયર નાખી તેને પાડી દીધી. યુવતીએ વિનંતી કરી કે તમારે ફોન-પૈસા જે જોઈતું હોય તે લઈ મને બક્ષી દે પણ ધરમસિંહ રોકાયો ન હતો.

યુવતીએ નીચે ભાગવાનો પ્રયાસ કરતાં નરાધમે વાયર વડે તેનું ગળું દબાવી તેને પાડી દીધી હતી અને યુવતીએ બચવાના ઘણા પ્રયત્નો કર્યા, કગરી છતાં તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ યુવતીને ધાબા પર જ બંધ કરીને યુવતીનો ફોન લઈ તેમાંથી ઓનલાઈન નાણા લૂંટવાનો પ્રયાસ પણ કર્યો હતો. પરંતુ ફોન સ્વીચ ઓફ થઈ જતાં રૂપિયા ટ્રાન્સફર ન થઈ શકતા ધરમસિંહ ફોન લઈને ભાગી છૂટ્યો હતો.

ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી અમદાવાદ પોલીસ કમિશનરે તુરંત 10 જેટલી ટીમો બનાવી આરોપીને પકડવા ચક્ર ગતિમાન કર્યા હતા. ગુનો આચરીને ફરાર થયેલા ગાર્ડને પોલીસે હેબતપુર પાસેથી ઝડપી પાડ્યો હતો. પંચનામાની કામગીરી દરમિયાન આરોપીએ પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કરતાં પોલીસે તેના પગમાં ગોળી મારી કાબૂમાં લીધો હતો. હાલ ભોગ બનનાર યુવતી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેની સ્થિતિ સુધારા પર છે.

પગમાં ગોળી વાગ્યા બાદ આરોપીને હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યાં હોસ્પિટલ પહોંચેલા આરોપીએ પહેલા લંગડાતા અને સ્ટ્રેચર પરથી પણ બંને હાથ જોડી માફી માગી હતી. સાથે એક જ વાતનું રટણ કર્યું હતું કે, ‘સાહેબ હવે પછી આવું નહીં થાય, એકવાર માફ કરી દો…’. ફાયરિંગની આ ગંભીર ઘટનાને પગલે જેસીપી અને ડીસીપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સિવિલ દોડી ગયા હતા.

પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે ‘એ-વન સિક્યોરિટી’ એજન્સી દ્વારા કોઈપણ પ્રકારના પોલીસ વેરિફિકેશન કે તાલીમ વગર જ આરોપીને નોકરી પર રાખવામાં આવ્યો હતો. આથી બેદરકારી દાખવનાર સિક્યોરિટી એજન્સીના સંચાલકો તેમજ પોલીસ રજિસ્ટ્રેશન વગર યુવતીઓને ફ્લેટ ભાડે આપનાર મકાન માલિક સામે પણ ગુનો નોંધવામાં આવશે. પોલીસે તમામ જરૂરી પુરાવા એકત્ર કરી આ કેસમાં ઝડપથી ચાર્જશીટ રજૂ કરીને આરોપીને કડકમાં કડક સજા અપાવવાની કાયદાકીય પ્રક્રિયા શરૂ કરી છે.





