Uncategorized
Trending

પત્નીએ દારૂ માટે પૈસા આપવાની ના પાડી, ગુસ્સે ભરાયેલા પતિએ કર્યું કાળજું કંપાવી દે તેવું કૃત્ય

Jhunjhunu News: રાજસ્થાનના ઝુંઝુનૂ જિલ્લામાં દારૂ પીવા માટે રૂપિયા ન આપતાં પતિએ પત્નીની હત્યા કરીને મૃતદેહ સંદૂકમાં છુપાવી દીધાનો આરોપ છે. પોલીસે આરોપીની અટકાયત કરીને તપાસ શરૂ કરી છે.

રાજસ્થાન: જિલ્લાના સુરજગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના અગવાણા ખુર્દ ગામમાં કંપારી છોડાવે તેવી ઘટના સામે આવી છે. અહીં એક પતિએ પોતાની પત્નીની હત્યા કર્યા બાદ તેનો મૃતદેહ ઘરમાં રાખેલા સંદૂકમાં છુપાવી દીધો હતો. માહિતી મળતા જ સુરજગઢ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સંદૂક ખોલીને મહિલાનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. આ ઘટનાના પગલે સમગ્ર ગામમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા. પોલીસે મૃતદેહનો કબજો લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. આરોપી પતિની અટકાયત કરીને તેની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. પોલીસ મૃતદેહને સંદૂક સહિત હોસ્પિટલ લઈ ગઈ હતી.
સુરજગઢ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ રામસિંહ યાદવે જણાવ્યું કે, પોલીસને માહિતી મળી હતી કે અગવાણા ખુર્દ ગામના રહેવાસી કૃષ્ણકુમાર જાટના ઘરમાં એક સંદૂકમાં મહિલાનો મૃતદેહ પડ્યો છે. માહિતી મળતાં જ પોલીસની ટીમ સ્થળ પર પહોંચી અને ઘરની તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ઘરમાં રાખેલા એક સંદૂકમાંથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતક મહિલા તેની પત્ની સુલોચના હોવાનું બહાર આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં મૃતદેહ 2થી 3 દિવસ જૂનો હોવાનું જણાયું છે. પોલીસના જણાવ્યા અનુસાર, મૃતક મહિલાના બંને હાથ બંધાયેલી હાલતમાં મળ્યા હતા. પોલીસે ઘટનાસ્થળેથી જરૂરી પુરાવા એકત્ર કર્યા છે.

દારૂ માટે રૂપિયા માગતા થયો હતો ઝઘડો

પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે, આરોપી કૃષ્ણકુમાર જાટના લગ્ન વર્ષ 2009માં સુલોચના સાથે થયા હતા. ઘટના પહેલાં કૃષ્ણકુમારે પત્ની પાસેથી દારૂ પીવા માટે રૂપિયા માંગ્યા હતા, પરંતુ સુલોચનાએ રૂપિયા આપવાની ના પાડી હતી. આ મુદ્દે બંને વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો. આરોપ છે કે ગુસ્સે ભરાયેલા કૃષ્ણકુમારે પત્નીની હત્યા કરી દીધી અને પછી મૃતદેહને સંદૂકમાં છુપાવી દીધો હતો. તેણે 2થી 3 દિવસ સુધી આ વાતની કોઈને જાણ પણ થવા દીધી નહોતી. જોકે, પત્ની ઘણા દિવસોથી દેખાઈ ન આવતા ગ્રામજનોને શંકા ગઈ અને તેમણે પોલીસને જાણ કરી હતી.

પોલીસ દરેક એંગલથી તપાસમાં લાગી

પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ રામસિંહ યાદવે જણાવ્યું કે, મૃતદેહનું સુરજગઢ CHCમાં પોસ્ટમોર્ટમ કરાવવામાં આવશે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું ચોક્કસ કારણ જાણી શકાશે. હાલ પોલીસ દરેક એંગલથી કેસની તપાસ કરી રહી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ, FSLના પુરાવા અને પૂછપરછના આધારે આગળની કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. મૃતક મહિલાના પિયર પક્ષના પરિવારજનોને પણ ઘટનાની જાણ કરી દેવામાં આવી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!