
ભાવનગરના ઉખલા ગામમાં જુગાર રમતા લોકો વચ્ચે પોલીસ રેડની અફવા ફેલાઈ. ભાગદોડમાં 4 યુવકો કૂવામાં પડ્યા, 3ના મોત. પોલીસે રેડનો ઇનકાર કર્યો.
ભાવનગર: ઉખલા ગામના વાડી વિસ્તારમાં મોડી રાત્રે ચોંકાવનારી ઘટના બની હતી. જુગાર રમતા લોકો વચ્ચે પોલીસની રેડ પડી હોવાની અફવા ફેલાતા ભાગદોડ મચી હતી. આ દરમિયાન ભાગી રહેલા ચાર યુવકો કૂવામાં પડી ગયા હતા, જેમાં ત્રણ યુવકોનાં મોત નીપજ્યાં હોવાનું સામે આવ્યું છે.
પ્રાથમિક માહિતી મુજબ, ઉખલા ગામના વાડી વિસ્તારમાં મહાવીરસિંહની વાડી ખાતે 11 જેટલા લોકો જુગાર રમી રહ્યા હતા. આ દરમિયાન ત્રણ શખસો ત્યાં પહોંચ્યા હતા અને પોલીસની જેમ ગાળો બોલીને કોઈને ઉભા ન રહેવા જણાવ્યું હતું. જેથી જુગાર રમી રહેલા લોકોમાં દોડધામ મચી ગઈ હતી. ભાગતી વખતે ચાર યુવકો કૂવામાં પડી ગયા હતા.

ઘટનામાં રાહુલ પોપટભાઈ ચૌહાણ, નિલેશ ડાભી અને અજીતસિંહ નામના ત્રણ યુવકોનાં મોત થયાં હોવાનું જાણવા મળ્યું છે. બનાવની જાણ થતાં સ્થાનિક લોકો અને પરિવારજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. મૃતદેહોને બહાર કાઢી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં મોટી સંખ્યામાં પરિવારજનો પણ પહોંચ્યા હતા.
જોકે, આ સમગ્ર ઘટના પોલીસની રેડ દરમિયાન બની હોવાના પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે. બીજી તરફ વરતેજ પોલીસના અધિકારીઓએ રેડ અંગે ઇનકાર કર્યો છે. વરતેજ પોલીસ સ્ટેશનના PI પઢેરીયાના જણાવ્યા મુજબ, ગામના કોઈ વ્યક્તિએ ટીખળ કરી હોય તેવી શક્યતા છે. હાલ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


